માસ્ક અને વેક્સીનેશન અંગે લોકજાગૃતિ કેળવવા અમરેલીના વિવિધ ગામોની મુલાકાત લીધી
પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડએ અમરેલીના રાજસ્થળી, ચક્કરગઢ અને દેવળીયા જેવા વિવિધ ગામોની મુલાકાત લઈ ગ્રામજનોને માસ્ક અને વેક્સીનેશન અંગે સમજ આપવામાં આવી હતી. અમરેલીના અધિકારીશ્રીઓ દ્વારા સામાજીક, ધાર્મિક અને રાજકિય આગેવાનોના સહયોગથી પ્રજાજનોમાં કોરોના પ્રતિરોધક રસી અંગેની ભ્રામક માન્યતાઓ દૂર કરી નાગરિકોને રસી લેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે.
આ અંગે વધુ વાત કરતા પ્રાંત અધિકારી શ્રી સી. કે. ઉંધાડ જણાવે છે કે કોરોના વાયરસ સામેની લડાઈમાં રસી લઈ અમરેલી જિલ્લાના પ્રબુદ્ધ પ્રજાજનોએ જવાબદાર નાગરિક તરીકે પોતાની ફરજ અદા કરી છે. અમરેલી વહિવટી તંત્ર દ્વારા ૪૫ વર્ષથી વધુ વયજુથના નાગરિકોને વેક્સીન આપવામાં આવે છે. ત્યારે સૌ કોઈ આગળ આવી વેક્સીન લે તેવી અપીલ કરી હતી. આ તકે મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારી શ્રી અને આરોગ્ય વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા.
નોંધનીય છે કે સમગ્ર અમરેલી જિલ્લામાં વરિષ્ઠ નાગરિકોએ મોટા પ્રમાણમાં રસીકરણ ઝુંબેશ અંતર્ગત રસી લઈ રસી સલામત હોવાનો સંદેશ આપ્યો છે. ખુબ ટૂંકા ગાળામાં મહત્તમ લોકો રસી લેવા માટે પ્રેરાયા છે ત્યારે રસી લેવાની બાકી હોય તેવા નાગરિકો પણ આ વેક્સિનેશન ડ્રાઈવમાં ભાગ લઈ પોતાના પરિવાર અને સમાજને કોરોના વાયરસ સામે રક્ષાકવચ પૂરૂ પાડવાના તંત્રના પ્રયાસોમાં સહભાગી થાય તે આવશ્યક અને આવકારદાયક છે.
Recent Comments