વડાપ્રધાન મોદીએ આયુષ્માન ભારત ડિજિટલ મિશન સ્કીમ લોન્ચ કર્યું
વડાપ્રધાન મોદીએ લાલ કિલ્લા પરથી આ યોજનાની ઘોષણા કરી હતી. આ યોજનાને શરૂઆતમાં અમુક રાજ્યોમાં પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત લાગુ કરવામાં આવશે અને ત્યાર બાદ સમગ્ર દેશમાં તેનો વિસ્તાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ભારત સરકાર દ્વારા પહેલા આયુષ્માન યોજના લાગુ કરવામાં આવી હતી જેના અંતર્ગત દરેક વ્યક્તિને ૫ લાખ રૂપિયા સુધીની ફ્રી સારવારની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભારત દ્વારા સ્વાસ્થ્ય ક્ષેત્રે એક ખૂબ જ મહત્વનું પગલું ભરવામાં આવ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા સોમવારે એટલે કે આજે આયુષ્માન ભારત ડિજિટલ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત દેશના દરેક નાગરિકની એક હેલ્થ આઈડી તૈયાર કરવામાં આવશે.
ઓ યોજનાના લોન્ચિંગ દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, સ્વાસ્થ્ય ક્ષેત્રે આ એક ક્રાંતિકારી પગલું છે. દેશના ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોની સારવાર માટે આ યોજનાએ મહત્વની ભૂમિકા ભજવી છે. હવે ડિજિટલ ફોર્મમાં આવવાથી તેનો વિસ્તાર થઈ રહ્યો છે. વડાપ્રધાને જણાવ્યું કે, ડિજિટલ ઈન્ડિયા અભિયાને દેશના સામાન્ય નાગરિકની શક્તિ વધારી દીધી છે. આપણા દેશ પાસે ૧૩૦ કરોડ આધાર નંબર, ૧૧૮ કરોડ મોબાઈલ યુઝર, ૮૦ કરોડ ઈન્ટરનેટ યુઝર, ૪૩ કરોડ જનધન બેંક ખાતા છે, આવું વિશ્વમાં ક્યાંય નથી. વધુમાં જણાવ્યું કે, આરોગ્ય સેતુ એપની મદદથી કોરોના સંક્રમણને ફેલાતો અટકાવવામાં મદદ મળી, આ સાથે જ ભારત બધાને વેક્સિન-ફ્રી વેક્સિન આપી રહ્યું છે. અત્યાર સુધીમાં ૯૦ કરોડ વેક્સિન અપાઈ છે જેમાં કો-વિનનો બહુ મોટો રોલ છે. કોરોના કાળમાં ટેલિમેડિસિને પણ બધાની મદદ કરી છે. આયુષ્માન યોજના અંતર્ગત અત્યાર સુધીમાં ૨ કરોડ દેશવાસીઓ મફત સારવાર કરાવી ચુક્યા છે. પહેલા અનેક ગરીબો એવા હતા જે હોસ્પિટલ જતા અચકાતા હતા પરંતુ આયુષ્માન ભારતના આગમન બાદ તેમનો એ ડર દૂર થયો છે.
Recent Comments